ગુજરાત સરકારની પશુપાલકોના હિતાર્થે કાર્યરત ‘૧૦ ગામ દીઠ એક પશુદવાખાનું’ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં પશુઓની ત્વરિત અને સચોટ સારવારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તાલુકાના જાલિયા લોકેશન હેઠળ કાર્યરત ફરતા પશુદવાખાનાની ટીમ દ્વારા સાહેબપુરા ગામે એક પશુપાલકની ભેંસની જટિલ અને સફળ સારવાર કરી તેને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવવામાં આવી છે. વિગતો અનુસાર, સોમવારના રોજ જાલિયા પશુદવાખાનાના પશુચિકિત્સક ડૉ. સમીર ડોડીયા જ્યારે સાહેબપુરા ગામની રૂટીન વિઝિટમાં હતા, ત્યારે સ્થાનિક પશુપાલક પ્રભુદાસભાઈ દ્વારા પોતાની ભેંસની ગંભીર સ્થિતિ અંગે ડૉક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. પશુચિકિત્સકની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, ભેંસના વિયાણ બાદ તેનું આખું ગર્ભાશય બહાર નીકળી ગયું હતું અને પશુ અસહ્ય પીડાથી પીડિત હતું. આ ગંભીર સ્થિતિમાં સમય સૂચકતા વાપરીને ડૉ. સમીર ડોડીયા તેમજ પાયલોટ કમ ડ્રેસર રતનસિંહ રાઠોડ દ્વારા અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ બહાર નીકળી ગયેલા ગર્ભાશયને સાફ કરી, ખૂબ જ કાળજીપૂર્વક તેને ફરી મૂળ સ્થાને મૂકીને યોગ્ય ટ્રીટમેન્ટ આપી ભેંસને પીડામુક્ત કરી હતી. સારવાર બાદ ડૉ. સમીર ડોડીયાએ હાજર રહેલા ગ્રામજનોને પશુઓમાં વિયાણ પછી આવી સમસ્યા ન સર્જાય તે માટે શું ધ્યાન રાખવું અને જો આવું થઈ જાય તો પશુચિકિત્સક ન આવે ત્યાં સુધી કયા પ્રકારની કાળજી રાખવી તે બાબતે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પશુદવાખાનાની ટીમે ઘરઆંગણે દાખવેલી આ તત્પરતા અને શ્રેષ્ઠ કામગીરીથી સંતુષ્ટ થઇ પશુપાલક અને સાહેબપુરાના ગ્રામજનોએ ડૉક્ટર, સ્ટાફ તેમજ આ પશુ સારવારની ઉત્તમ સેવા પૂરી પાડવા બદલ સરકારશ્રી અને સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


